નેશનલ ડેસ્ક: પૌરાણિક શહેર દ્વારકાથી પ્રારંભ થયેલી બાઈક રેલીના જવાનો 2 દિવસ અમદાવાદ આર્મી
કેમ્પમાં વિશ્રામ માટે રોકાયા હતા. જેથી આજે 2 પૂર્ણ થયે અમદાવાદ આર્મી કેમ્પ ખાતે તેઓને
આગળના સ્થળે રવાના કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જનરલ નેશનલ કેડેટ
કોરના એડિશનલ ડાયરેક્ટર મેજર જનરલ રમેશ સનમુઘમ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત
રહ્યા હતા.
આ પ્રસંગે ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર મેજર જનરલ રમેશ સનમુઘમે આર્મીના બાઈક
સવારોની આગળની યાત્રા શુભ અને સુરક્ષિત બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. અને
કારગિલ યુદ્ધ સમયે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ શૂરવીરોના
પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ શૂરવીરોના બલિદાન પર દેશ હંમેશાં
ગર્વ કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.
કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા શૂરવીરોના પરિવારજનો તેમજ વીરનારી, વીરમાતાઓ પ્રત્યે
સન્માન વ્યક્ત કર્યું હતું.
બાઈક સવારોને સસન્માન રવાના કરવામાં આવ્યા હતા. આ બાઈક સવારો અમદાવાદ આર્મી
કેમ્પના 2 દિવસના વિશ્રામ બાદ હવે આગળના સ્થળ ઉદયપુર આર્મી કેમ્પ માટે રવાના થયા
છે.
અત્રે ઉલ્લખનીય છે કે, કારગિલ વિજયની 25મી વર્ષગાંઠની સ્મૃતિમાં તેમજ કારગિલ યુદ્ધના
શૂરવીરોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતીય સેના અને રેજિમેન્ટ
ઓફ આર્ટિલરી દ્વારા એક મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેજિમેન્ટ ઓફ
આર્ટિલરીએ 'ઓપરેશન વિજય'ની સફળતામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી અને આ રેલી
તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડે છે. તેમજ આપણા બહાદુર સૈનિકોના વારસાને
સન્માન આપે છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ આર્મી કેમ્પના બ્રિગેડિયર, કર્નલ, કેપ્ટન, મેજર, જવાનો, નિવૃત્ત
આર્મી મેન, NCCના વિદ્યાર્થીઓ સહિતના અનેક લોકો તેમજ શહીદ થયેલ સૈનિકોના
પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.